જોડણીની જાણકારી (૫)

ગતાંકમાં ડૉ. ભારતી મોદીની દલીલો વાંચી, આજના સોપાનમાં અન્ય મહાનુભાવોના જોડણી વિષયક મંતવ્ય જાણીએ:

ડૉ. ઊર્મિ દેસાઈએ જણાવ્યું છે, “મારી દૃષ્ટિએ ગુજરાતી ભાષક દેશ્ય શબ્દોમાં અને જે રીતે તદ્-ભવીકરણ થયું હોય તે જ શબ્દોમાં એક પેટર્નનું પાલન કરતો હોય છે. એ પેટર્ન પ્રમાણે હ્સ્વદીર્ઘ સ્વરો બોલાતા હોય છે. હવે આ પેટર્ન, સિલેબિકેશન (આક્ષરિક્તા) ઉપર આધાર રાખે છે. માટે જ્યાં સુધી આ અભ્યાસ પૂર્ણ થયો ન હોય ત્યાં સુધી કોઈ લિપિસુધારને અવકાશ જ નથી.”

શ્રી મહેન્દ્ર મેઘાણીએ લિપિ અંગે ઠીકઠીક વિચારણા કરી છે અને એને અમલી બનાવવા એમનાં કેટલાંક પુસ્તકો એ મુજબ છાપીને લિપિસુધારણા અંગે નોંધપાત્ર પ્રયત્નો પણ કર્યા છે. એમણે ગુજરાતી લિપિ માટે ૩૨ અક્ષરોથી જ ચાલી શકે એ ગુજરાતી લિપિના કેટલાક અક્ષરો ઘટાડીને અને જોડાક્ષર અંગે અમુક રીતે અક્ષરો જોડી બતાવીને સિદ્ધ કરવા પ્રયત્ન કર્યા છે. તેમના મતે,

૧. ગુજરાતી કક્કામાં ૩૨ મૂળાક્ષરો જ રાખવા : અ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ હ ળ

૨. આ ૧૧ મૂળાક્ષરો રદ કરવા : ઇ ઈ ઉ ઊ ઋ અઃ ઙ ઞ ષ ક્ષ જ્ઞ (આને બદલે િઅ અી અુ અૂ રુ અહ – - શ ક્શ ગ્ન રાખવા.)

૩. ઉપરના ૩૨ મૂળાક્ષરોની સાથે જોડવા માટે બારાખડીની આ ૧૧ નિશાનીઓ વાપરવી : ા િ  ી ુ ૂ ે ૈ ો ૌ

૪. બે અક્ષરોને જોડવાના આવે ત્યારે તેમાંનો પહેલો અડધો અથવા ખોડો કરવો અને તેને માટે નીચેના બે જ નિયમોનો વગર અપવાદે અમલ કરવો :

(૧) ખ ગ ઘ વગેરે પાંખિયાવાળા અક્ષરો જોડતી વખતે પાંખિયું કાઢી નાખવું.

(૨) પાંખિયા વગરના ૧૨ અક્ષરોને જોડતી વખતે તેની નીચે હલન્તચિહ્ન મૂકીને તેને ખોડા કરવા : ક્ છ્ જ્ એમ.

રાજભાષાના ફેબ્રુઆરી’ ૯૬ના અંકમાં શ્રી કે. કા. શાસ્ત્રીના ‘લિપિમાં થોડો જ સુધારો’ લેખ પ્રસિદ્ધ થયો હતો તેમાં તેમણે આપેલાં સૂચનો પણ સંક્ષેપમાં જોઈએ.

સ્વરો : અ આ િઅ અી અુ અૂ એ ઍ ઐ ઓ ઑ અં અ:

એક ઉચ્ચારણ વિશિષ્ટતાથી ઉચ્ચરિત થાય છે વાઃલું (વહાલું), નૅઃર (નહેર), મૅઃરબાની (મહેરબાની), શૅઃ૨ (શહેર), બૅઃન (બહેન) એમ લખવું.

વ્યંજનો : વ્યંજનોના રૂપના વિષયમાં તો કોઈપણ ફેરફાર કરવો સામયિક નથી.

એમણે વધુમાં કહ્યું હતું : શના વિષયમાં ખાસ મુશ્કેલી નથી. માત્ર દેવનાગરી પડછે ” આ રૂપમાં ‘ર’ ‘લ’નો સંયોગ કરીએ છીએ ત્યારે શ્ર શ્ર્લ એમ કરીએ છીએ. શ્ર્લને સ્થાને શ્લ લખવામાં સરળતા છે. રહ્યો પ્રશ્ન ‘શ્ર’નો. આને સરળ કરવા માટે શ્-૨ એ રીતે આદર કરવામાં આવે તો એ શ્-રેષ્ઠ બની રહે.

આપણને અગુજરાતી લાગે છે તે તો ‘દ’ પછીના વ્યંજનોને લખવાની પદ્ધતિ. આપણે દેવનાગરીના દ્ર, દ્ધ, દ્વ,દ્મ દ્ય સ્વીકારી લીધા છે અને તેથી સ્પષ્ટ રીતે એ અગુજરાતી છે. આને દ્-ર, દ્-ધ, દ્-વ, દ્-મ, દ્-ય એ રીતે સ્વીકારવામાં આવે તો એ શુદ્ધ ગુજરાતી બની જાય છે.

‘ર’ની બારાખડી કરતી વેળા દેવનાગરી પરિપાટીએ હ્સ્વ ‘રુ’ કરીએ છીએ અને દીર્ઘ માટે ‘રૂ’ એવું રૂપ ચલણી સ્વીકાર્યું છે. આપણે રુ રૂ શરૂ કરીએ તો વધારે સ્વાભાવિક બની રહેશે.

વધુ આવતા સોપાનમાં…

ડૉ. ભારતી મોદીની દલીલો

ડૉ. ભારતી મોદીની દલીલો (ગતાંકથી ચાલુ)…

“બીજું, અંગ્રેજીના મધ્ય-નિમ્ન સ્વરો માટે ઍ ઑ લખવાથી કોઈ ખાસ બોજો પડે એમ હું સ્વીકારી શકતી નથી. અનેક અંગ્રેજી શબ્દોએ ગુજરાતીમાં સ્થાન જમાવી દીધું છે. એનો તત્સમ ઉચ્ચાર શક્ય હોય ત્યાંસુધી નિશાની વડે નિર્દેશવામાં મોટો ભાર પડતો નથી.

ત્રીજું, લિપિમાંથી ’subscript’, ’superscript’ની નિશાનીઓ બને તેટલી ઓછી કરી વ્યંજનો ’serial order’માં – એક પછી એક – લખાય તો તે ઘણું વ્યાવહારિક પગલું છે. અહીં પણ ધ્વનિસ્વરૂપની દૃષ્ટીએ ભાષાના ‘clusters’ (વર્ણગુચ્છ)નો ઊંડો અભ્યાસ કરવો હજી બાકી હોવાથી હું કોઈ અંતિમ નિર્ણય લેવાની તરફેણમાં નથી.”

ચોથું, સવાઈ સંસ્કૃત તો ગુજરાતીભાષી કે ગુજરાતી મૂળાક્ષરો બની શકે તેમ નથી. ડૉ. જોશીનાં કેટલાંક સૂછનો લખાણની – orthography ની – ત્રુટિઓ માટેનાં છે: જેવાં કે ‘ર’, ‘દ’નાં જુદાંજુદાં ચિહ્નો. મનસ્વીપણે ગમે ત્યાં સ-શ બોલવાથી આવતી અરાજકતા ટાળવા ડૉ. જોશી શુદ્ધ બોલનારાંઓને પણ આ ભેદ ન રાખવાનો દુરાગ્રહ સેવે તે સ્વીકાર્ય નથી.”

એમણે આગળ ઉમેર્યું છે: “ડો. જોશી જુદીજુદી બોલીઓની ખાસિયતો ટાંકે છે. આ બોલીભાષીઓને શુદ્ધ બોલતાં તકલીફ થાય છે માટે આવા ભેદ કાઢી નાખવા એમ જો એ સૂચવતા હોય તો ગુજરાતીઓની નિર્બળ મનોદશાનું મૂર્તિમંત ચિત્ર એમને અભિપ્રેત છે એવી ‘અ-સંસ્કૃત!!’ ગુજરાતીમાંથી મળે. બોલીઓ અને ’standard’, ‘formal’, ‘educated’ dialect વચ્ચેનો ભેદ દુનિયાની કોઈપણ urbanized (શહેરીકરણ કરેલ) ભાષાસ્થિતિમાં રહેવાનો જ. ક્યારેક તો diglossia જેવી સ્થિતિ પણ આવીને ઊભી રહે છે. છેલ્લે બે મહત્વના મુદ્દા જોઈએ. એમણે સૂચવેલી મૂળાક્ષર-પદ્ધતિ ઘણા મહત્વના ધ્વનિસ્વરૂપના મુદ્દાઓને ધ્યાનમાં લેતી નથી. સામાન્ય પણે લેખન પદ્ધતિ અને ઉચ્ચારણ સમાંતર રહે જ નહીં, કારણ ધ્વનિ-ઉચ્ચાર સતત બદલાતા રહે અને જુદીજુદી બોલીઓમાં પરિણમે; લેખનપદ્ધતિ સ્થિત રહે, staticity (સ્થિરતા) અને dynamicity (ક્રિયાશીલતા) ક્યારેય સમાંતર ન રહી શકે.

નાસિક્ય ઉચ્ચારો માટે આપણે અક્ષર ઉપર બિંદુ મૂકીએ છીએ પરંતુ જ્યાં સ્વર નાસિક્ય બને છે – જેમ કે, દાંત, અને જ્યાં નાસિક્ય વ્યંજન પછીના વ્યંજન સાથે આવતો હોય છે ત્યારે પણ આપણે આવું જ બિંદુ મૂકીએ છીએ – જેમ કે, દંત. આ બન્ને વચ્ચેનો તફાવત ધ્યાનમાં લીધો જ નથી.

આ સિવાય સ્વર વગરના વ્યંજન જો હલન્તની નિશાની વડે બતાવવાના હોય તો બધા જ વ્યંજનો, જેવા કે ‘ખુરશી’માંનો ‘ર’ અથવા ‘રામ’માંનો ‘મ’ પણ હલન્ત રાખવા પડે.(ખુર્-શી, રામ્ – એ રીતે). ઉપરાંત ડૉ. જોશીએ ‘ક્ષ’ અને ‘જ્ઞ’ જે દેખીતી રીતે જોડાક્ષરો જ છે તે કેમ એમ જ સાચવી રાખ્યા છે? બધા જ જોડાક્ષરો જે જે વ્યંજનોના જોડાણથી બન્યા છે તે સ્પષ્ટ કરવા જોઈએ.”

વધુ ચર્ચા હવે પછીના સોપાનમાં…

લિપિ સુધારણાની ચર્ચા

જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?

ડૉ. દયાશંકર જોશીએ ગુજરાતી લિપિ સુધારણા માટે ચિંત્ય સૂચનો કર્યાં છે. તેમનાં સૂચનો સંક્ષેપમાં જોઈએ તો -

  • હ્સ્વદીર્ઘના ભેદ દૂર કરી ‘ઇ’ માટે દીર્ઘની અને ‘ઉ’ માટે હ્સ્વની નિશાની વાપરવી.
  • અંગ્રેજી શબ્દોના વિવૃત સ્વરો (open vowels, E, O) માટે વપરાતી ઊંધી માત્રાવાળી નિશાનીઓ (ઍ, ઑ) દૂર કરવી.
  • ગુજરાતી વ્યંજનોને એક આકારવાળા રાખવા અને જેમ બોલાય છે તેમ એક પછી એક મૂકવા.
  • ગુજરાતીને સંસ્કૃત ઉચ્ચારણો અને અક્ષરોના બાહુલ્યથી અને ભરમારથી સવાઈ સંસ્કૃત બનતી અટકાવવી.

ડૉ. ભારતી મોદીએ આ અંગેની ચર્ચામાં ભાગ લીધેલો અને એક લખાણ પ્રત્યક્ષ જાન્યુ-માર્ચ ‘૯૪ના અંકમાં આપેલું કે “ગુજરાતીમાં હ્સ્વદીર્ઘ ઇ-ઈ અને ઉ-ઊ એવા ચાર સ્વતંત્ર ધ્વનિઘટકો નથી એટલે કે કાલમાનના ભેદથી ચાર જુદા ધ્વનિઘટકો બનતા નથી, માટે લખવામાંથી પણ એ ભેદ કાઢી નાખવા યોગ્ય છે એમ ચર્ચાન્તે સૌને લાગેલું. પરંતુ કેટલાક મહત્વના મુદ્દાઓનો આની સાથે વિચાર કરવો રહ્યો. સૌથી પ્રથમ તો ‘ઇ’ સ્વર માટે દીર્ઘની નિશાની અને ‘ઉ’ સ્વર માટે હ્સ્વની નિશાની માટે ‘economy parsimony’ (કાપકૂપની ત્રેવડ) સિવાયનું કોઈ rationale (તર્કસંગત આધાર) ડૉ. જોશીએ આપેલ નથી.

ભાષાના શબ્દભંડોળમાં તત્સમ અને તદ્-ભવનો જે સંબધ આપણે સમજીએ છીએ અને ભણેલા ગુજરાતીભાષી સમજે એમ માનીએ છીએ તે સંબંધ પાયારહિત નથી. સંસ્કૃત સાથેનો ‘અનુબંધ’ તદ્દન ન ગણકારીએ તો ભાષાના ધ્વનિસ્વરૂપને સમજવા માટેની કડી લુપ્ત થઈ જાય છે. અમેરિકનોએ ઘણા ’spelling’નું સરલીકરણ કર્યું છે છતાં knife, know વગેરેમાંથી ‘K’ કાઢ્યો નથી. જૂના તબક્કા સાથેનો અનુબંધ ફક્ત મૂઠીભર લોકો માટે જ કામનો હોય તોય કોઈપણ મહત્વનો ફેરફાર માત્ર સરલીકરણના પાયા ઉપર ન કારાય. લાંબે ગાળે વિપરીત પરિણામ ન આવે એનો વિચાર કરવો હજી બાકી છે.

ગુજરાતી, મરાઠી, હિન્દી એમ ત્રણેય ભાષાઓ દેવનાગરી લિપિ વાપરતી હોઈ અને ત્રણે ભાષામાં હ્સ્વ-દીર્ઘના પ્રશ્નો સમાંતર હોઈ બધી ભાષાના વિદ્વાનો, સાહિત્યકારો આ અંગેની ચર્ચાવિચારણા સાથે મળીને કરે તે યોગ્ય છે. ગુજરાતીમાં જ અ-સંસ્કૃતપણાની પહેલ માત્ર બાળકોનો બોજો હટાવવા માટે ન થાય.”

ડૉ. ભારતી મોદીની વધુ દલીલો હવે પછીના સોપાનમાં…

સાર્થ જોડણીકોશ પછી…

જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?

સાર્થ જોડણીકોશ પ્રસિદ્ધ થયો, સર્વમાન્ય, સર્વસ્વીકૃત થયો પણ તે પછી શું થયું?

સાર્થ જોડણી કોશની પાંચમી આવૃત્તિ ઈ.સ. ૧૯૬૭માં પ્રસિદ્ધ થઈ હતી. એ પછી એની નવી આવૃત્તિ માટે સારો એવો સમય વીત્યો અને છેક ૧૯૯૫માં છઠ્ઠી આવૃત્તિ બહાર પડી પણ તે ૧૯૬૭ના સાર્થ જોડણી કોશનું પુનર્મુદ્રણ માત્ર હતું. તેમાં ૧૯૬૭ પછી પ્રવર્તમાન નવા શબ્દો ઉમેરાયા નહોતા કે નિયમો બાબત કંઇ પુનર્વિચાર કે કાંઈ સૂચન. શબ્દાર્થમાં પણ ક્યાંય સુધારા જરૂરી હતા એ પણ નહોતા કરાયા. વ્યુત્પત્તિ અંગે તો ઘણા સુધારા જરૂરી હતા એ પણ જાણે તે પછીની આવૃત્તિ માટે બાકી રખાયા હતા! સરતચૂકની ભૂલો પણ એમ જ રહી જવા પામી હતી.

શ્રી કાલિદાસ ત્રિવેદીએ ભાષાનિયામકની કચેરીના વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ (૧૯૯૫)ની પ્રસ્તાવનામાં લખ્યું છે, “મનુષ્ય જેમજેમ આગળ વધે છે તેમતેમ તેની ભાષા પણ વિકાસ પામે છે. સમાજનો વ્યવહાર જેમ સંકુલ અને આધુનિક બનતો જાય છે તેમતેમ તેની અસર ભાષા પર પણ અનિવાર્યપણે થાય જ છે. આ સંદર્ભમાં વિચારીએ તો ઈ.સ. ૧૯૨૨૯ અને ઈ.સ. ૧૯૯૫ વચ્ચેના ૬૫ વર્ષના લાંબા ગાળામાં દેશ અને દુનિયામાં ઘણી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. વિજ્ઞાન અને ટૅક્નોલૉજીએ હરણફાળ ભરી. દેશ સ્વતંત્ર બન્યો. લોકશાહી પરિપાટી અને મૂલ્યોની સાથોસાથ દેશમાં આધૂનિકતાની અને ટેક્નોલૉજી વિષયક વિકાસની ક્ષિતિજો ઊઘડી. આ બધાની ભાષા અને સાહિત્ય ઉપર ભારે અસર વરતાય એ સ્વાભાવિક છે. તેથી ભાષાનું શબ્દભંડોળ તો વધ્યુ જ. સાથોસાથ ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો, અર્થો અને લઢણો ઘસાતાં ગયાં, અસ્ત પણ થતાં ગયાં. સંદર્ભભેદે શબ્દો નવાનવા અર્થોમાં પ્રયોજાતા રહ્યા, નવા અર્થો ઉમેરાયા. ભાષા એ તો જીવંત અને ગતિશીલ પરિબળ છે, એટલે આમ તો થાય જ. આ પ્રક્રિયા અતંત્રતા તરફ દોરી ન જાય એ માટે દરેક ભાષામાં શબ્દકોશોની વિવિધ દૃષ્ટિકોણથી અને સમયાંતરે સુધારેલી અને સંવર્ધિત આવૃત્તિઓ અથવા નવા કોશો તૈયાર કરવાની પ્રક્રિયા એકધારી ચાલતી જ રહે છે. જોડણીના પ્રશ્ને આજે પણ ગુજરાતમાં વિદ્વાનોમાં ઘણા મતભેદ પ્રવર્તે છે. મહારાષ્ટ્રમાં પણ કંઈક અંશે આવી પરિસ્થિતિ હતી, પરંતુ મહારાષ્ટ્ર સરકારે પોતાની ભાષાનિયામક કચેરી દ્વારા રાજ્યની ભાષા, સાહિત્ય, શિક્ષણક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ, વિદ્વાનો વગેરેની બેઠક યોજી, વિશદ ચર્ચા કરી એકરૂપ માન્ય જોડણી અપનાવી.”

મરાઠી ભાષામાં જોડણી અને લેખનના શુદ્ધીકરણ માટે સને ૧૯૩૦થી ૧૯૬૧ સુધીમાં છ તબક્કે ફેરફાર થયા છે. મરાઠી સાહિત્ય મહામંડળના ૧૯૬૧ના લેખન વિષયક ૧૪ નિયમોને રાજ્યવ્યાપી માન્યતા અપાઈ છે. મો.રા.વાળંબેકૃત મરાઠી શુદ્ધ લેખન પ્રદીપમાં દર્શાવેલ આ નિયમો જોઈ શકાય છે કે, બધા મરાઠી શબ્દોના (અને સંસ્કૃત તત્સમ હ્સ્વાન્ત શબ્દોના) ઇ-ઉ દીર્ઘ કરી દેવાયા છે. (ઉદા. પેટી, જાદૂ, કવી, ગુરૂ). જોડાક્ષરમાં પણ અક્ષરો ક્રમ અનુસાર જોડીને (ઉદા.દ્ધ ને બદલે દ્ ધ ને દ્વિ ને બદલે દ્ વિ) લખવા સૂચવાયું છે. ચિહ્ન પ્રહ્લાદ જેવામાં ચિન્હ પ્રલ્હાદ એ રીતે “હ”ને પછીના ક્રમમાં મૂકવા સૂચવાયું છે. લિપિમાં પણ લ, શ, ખ, ધ, ભ અક્ષરોના ઘાટ બદલ્યા છે.

(સંદર્ભ –  વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ, ભાષાનિયામકની કચેરી)

આ તો થઈ પડોશી રાજ્ય મહારાષ્ટ્રની વાત, ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? હવે પછીના સોપાનમાં…

જોડણીકોશનો ઈતિહાસ

જોડણીનો ઝઘડો – સાર્થ કે ઊંઝા?

સસ્નેહ અભિવાદન.

આ બ્લોગનો હેતુ જોડણીના ઝઘડાને સમજવાનો, નવા બ્લોગર બન્યા છે તેમને સમજાવવાનો અને બની શકે તો સમાધાન કરાવવાનો છે.

જોડણીના ઝઘડાને સમજતાં પહેલાં જોડણી કોશનો ઈતિહાસ જાણીએ. ઈ.સ. ૧૮૦૮માં ડ્રુમન્ડ નામના પાદરીએ ૪૬૮ ગુજરાતી શબ્દોનો અંગ્રેજી સમજૂતી આપતો સર્વપ્રથમ જોડણી કોશ પ્રસિદ્ધ કર્યો. ઈ.સ. ૧૮૭૩માં જેને ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યવસ્થિત કોશ કહેવાય એવો નર્મદે ૨૫,૦૦૦ શબ્દોનો નર્મકોશ પ્રસિધ કર્યો. એ પછી સમયાંતરે બીજા પણ પ્રયત્નો થતા રહ્યા અને આપણને લલ્લુભાઈ ગોકળભાઈ પટેલનો ગુજરાતી કોશ, ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા)નો ગુજરાતી કોશ, ઈ.સ. ૧૯૨૯નો ગુજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ, ગોંડળના મહારાજા ભગવતસિંહજીનો નવ ભાગમાં પ્રસિદ્ધ થયેલ ભગવદ્-ગોમંડલ, ઈ.સ.૧૯૭૬નો યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનો શ્રી કે.કા.શાસ્ત્રી સંપાદિત બૃહદ્ ગુજરાતી કોશ (ખંડ ૧-૨), ગુજરાત સાહિત્ય અકાદમીનો ડૉ. ઈશ્વરલાલ ર. દવે સંપાદિત થિસોરસ, ભાષાનિયામકની કચેરી-ગુજરાત રાજ્યનો વ્યવહરોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ વગેરે કોશ પ્રાપ્ત થયા છે. આ બધામાં ગુજરાત વિદ્યાપીઠના કોશને વ્યાપક માન્યતા મળી છે. મુંબઈ સરકારના પ્રકાશન ખાતાએ પણ ઈ.સ.૧૯૪૦માં એને માન્યતા આપતાં લખ્યું, “ગુજરાતી શબ્દોની સાચી જોડણી વિશે ગુજરાતમાં ઘણા વખતથી ચર્ચા ચાલી રહી છે. એ હેતુથી મુંબઈ સરકાર એ જરૂરી અને ઈષ્ટ માને છે કે, જોડણીકોશમાં નક્કી કરેલી સર્વમાન્ય અને એકજ પ્રકારની જોડણી ઈલાકાની શિક્ષણ સંસ્થાઓમાં અનુસરવામાં આવે.” વિશેષમાં પ્રગટ થતા સામયિકો અને પાઠ્યપુસ્તકો તેમજ ઈતર પુસ્તકોમાં પણ ગુજરાત વિદ્યાપીઠના કોશની જોડણીને પ્રાધન્ય મળ્યું. એ યોગ્ય પણ હતું કેમ કે ગુજરાત વિદ્યાપીઠે વિદ્વાનોની સમિતિ નીમી એમની મારફતે ગુજરાતી ભાષાના શબ્દોની જોડણીના નિયમોને પણ સર્વસંમત કરાવી આપ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પ્રજાને જણાવ્યું, ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી‘.

(સંદર્ભ – સાર્થ જોડણી કોશ અને ગુજરાતી વિદ્યાપીઠ)

આમ, માન્યતા પ્રાપ્ત જોડણી એટલે સાર્થ જોડણી. પુસ્તકો, પાઠ્યપુસ્તકો, સામયિકો વગેરે જે જોડણીકોશને અનુસરે છે તે સર્વસ્વીકૃત સાર્થ જોડણી.

હવે પછીના સોપાનમાં ઊંઝા જોડણી વિશે…